Sunday, 19 March 2017

દલિત શબ્દ અંગે


દલિત શબ્દ મરાઠી ભાષામાંથી આવ્યો છે અને તેનો અર્થ "તળિયું", "દબાયેલું", "કચડાયેલું" અને "તૂટેલા ટુકડા" થાય છે. આ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ઓગણીસમી સદીમાં જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. દ્વિજ હિંદુઓની અગાઉની અછુત જાતો દ્વારા સહન કરવામાં આવેલ દમનના સંદર્ભે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિક્ટર પ્રેમસાગરના જણાવ્યા અનુસાર આ શબ્દ જાતિની "નબળાઈ, ગરીબી અને ભારતીય સમાજમાં ઉંચી જાતો દ્વારા થતાં અપમાનને વ્યક્ત કરે છે." મોહનદાસ ગાંધીએ અગાઉના અસ્પૃશ્યોની ઓળખમાં હરીજન શબ્દ આપ્યો હતો. જેનો અંદાજીત અર્થ "ભગવાનના બાળકો" થાય છે. પહેલાના અસ્પૃશ્યો અને આદિવાસીઓને ગણવા ભારતના સરકારી દસ્તાવેજોમાં તેમને "અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ" (એસસી/એસટી)શબ્દનો ઉપયોગ થાય છે. જો કે, વર્ષ 2008માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ કાસ્ટે નોંધ્યું હતું કે દલિત શબ્દનો ઉપયોગ સત્તાવાર શબ્દ શેડ્યૂલ કાસ્ટ સાથે પરસ્પર થતો હતો. તેમણે આ શબ્દને ગેરબંધારણીય ગણાવીને રાજ્ય સરકારોને તેના ઉપયોગનો અંત લાવવા માટે જણાવ્યું હતું. આદેશ બાદ, છત્તીસગઢ સરકારે દલિત શબ્દના સત્તાવાર ઉપયોગનો અંત લાવી દીધો હતો.

સત્તાવાર દસ્તાવેજોમાં પહેલાના અસ્પૃશ્યોનો ઉલ્લેખ કરવા માટે તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અનુક્રમે "આદી દ્રવિડ", આદિ કર્ણાટક અને આદિ આંધ્રા શબ્દોનો ઉપયોગ થાય છે. આ શબ્દો અને તેમાં મુખ્યત્વે "આદિ" શબ્દ રાજ્યના મૂળ નિવાસીનો નિર્દેશ કરે છે. વધુ સામાન્ય શબ્દ, આદિવાસી સંસ્કૃત શબ્દ આદિ પરથી આવ્યો છે. આદિ અર્થાત આદિકાળનું, મૂળ, "પ્રથમ + બસ" ક્રિયાપદનો મૂળ અર્થ બેસવું, સ્થાયી થવું અથવા રહેવું થાય છે. જે આદિવાસીઓને ભારતના મૂળ વતની તરીકે દર્શાવે છે. જો લોકો પોતાને દલિત તરીકે ઓળખાવે છે તે પોતાને આદિવાસી તરીકે પણ ઓળખાવી શકે છે પરંતુ સમાનતમાં તફાવત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિનો છે. જેમાં કેટલાક આંતરિક ભાગો છે પરંતુ આ બંને ચોક્કસ સામાજીક ઓળખો છે. 
(પ્રિય વિદ્યાર્થીઓમાંના એક - હર્ષ ચાવડા દ્વારા મળેલ માહિતી)

Thursday, 9 March 2017

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે એક અંગત મંતવ્ય:


આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે એક અંગત મંતવ્ય:
સ્ત્રી અને પુરુષની દરેક બાબતને જે બહેનો વિરોધાભાસ અને નકારાત્મક દ્રષ્ટિકોણથી જુએ છે તેમણે સંવાદ સ્થપાય તેવા પ્રયત્નો કરવા જોઈએ નહી કે વિવાદ. ઘર અને સમાજ વ્યવસ્થાને ચલાવવાની જવાબદારી સ્ત્રી અને પુરુષરૂપી બે પૈડાઓ પર છે. તેથી બંને પૈડાઓ વચ્ચે સંવાદિતા હોય તો જ ગાડી આગળ ચાલે. આજે સોશિયલ મીડિયા સંદેશાઓથી ભરાઈ જશે પણ માત્ર શુભેચ્છાઓ પાઠવી પાઠવીને કોઈ સુધારો આવે તેવી શક્યતા ઓછી છે. કુદરતે બંને પાત્રોની રચના અલગ (અહીં અલગ નો અર્થ ક્ષમતાની દ્રષ્ટીએ અસમાન તદ્દન ન કરવો) રીતે કરી હશે તો કંઈક સમજી વિચારીને જ કરી હશે. જે સંસ્થાઓ સ્ત્રીઓને પુરુષ વિરોધી બનાવી દેવાના ભયંકર પ્રયત્નો કરી રહી છે તે બહેનોનું હિત ઓછું અને નુકશાન વધારે કરી રહી છે. આજે આ વાત ઘણાને ખૂંચશે પણ લાંબા ગાળે સમજાશે. સદીઓ પછી એવો સમાજ ન બની જાય કે પુરુષોના અધિકારો માટે આંતર રાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવાનો વારો આવે. કહેવાનો અર્થ કે બંનેમાંથી કોઈએ પોતાને એકબીજાના હરીફ માનવાની તદ્દન જરૂર નથી. સમજણ અને સન્માનપૂર્વક રીતે સાથે જીવન જીવવાની જરૂર છે. જીવન એક છે અને તે જીવવા માટે છે. મહિલા જાગૃતિ અને મહિલાઓને ભડકાવવા વચ્ચેનો તફાવત સમજીને કામ કરવું તે સૌની જવાબદારી છે.
દરેક યુદ્ધનો અંત અંતે તો ક્ષમા અને શાંતિ જ હોય છે. ખુવારી બંને પક્ષે થાય છે, નુકશાન બંને પક્ષે થાય છે. જીતીને પણ જીવવાનું હોય અને હારીને પણ જીવવાનું હોય તો શા માટે માત્ર જીવવાનું જ પસંદ ન કરીએ? “આંતર રાષ્ટ્રીય સ્ત્રી-પુરુષ સંવાદીતા દિવસ”ની ઉજવણી રોજ થાય તેવી શુભેચ્છા સાથે.
હવે ઉપરોક્ત વિચારમાં પણ ઘણા સહમત ન થાય તો કોઈ વાંધો નથી કારણ કે આ એક અંગત મંતવ્ય છે.
-મિતેશ સોલંકી